ગાંધીનગર : ગૃહમંત્રીએ કોરોનાના સંદર્ભમાં રાજયની પ્રર્વતમાન સ્થિતિનો ચિતાર આપ્યો

ગાંધીનગર : ગૃહમંત્રીએ કોરોનાના સંદર્ભમાં રાજયની પ્રર્વતમાન સ્થિતિનો ચિતાર આપ્યો
New Update

રાજયમાં કોરોનાની બીજી લહેરમાં સરકાર તથા વહીવટીતંત્રની તમામ વ્યવસ્થાઓ ઓછી પડી રહી છે તેવામાં રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોરોનાની મહામારીને ડામવા માટે ચાલી રહેલી તથા કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી.

ગાંધીનગર ખાતે કોરોનાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે લાદેલા નિયંત્રણોની કામગીરી માનવીય અભિગમ સાથે અસરકારક રીતે કરવા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ  પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા  આશિષ ભાટિયા, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

પત્રકારોને માહિતિ આપતાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ‘‘મારું ગુજરાત કોરોના મુક્ત ગુજરાત’’ અભિયાન શરૂ કરી એ માટે અલગ-અલગ વિભાગને આ માટે પ્રયત્નશીલ થવા માર્ગદર્શન પુરૂ પાડ્યુ છે ત્યારે કોરોનાની આ મહામારીમાં સંક્રમણની સાંકળ તૂટે તે હેતુસર લગાવવામાં આવેલા નાઈટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધોની કડક અમલવારી, ટ્રાફિક મેનેજમેન્ટ માસ્ક ચેકિંગ, ચેકપોસ્ટ પર ચેકિંગ સહિતની કામગીરી માટે એક લાખથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનું દળ રાજ્યભરમાં તૈનાત કરી દેવામાં આવ્યું છે. જેમાં ૫૬,૬૧૬ પોલીસ, ૮૯ SRPF કંપની, ૧૩,૩૬૧ હોમગાર્ડ જવાનો, ૨૯,૪૪૪ GRD જવાનો અને ૭,૬૨૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ સહિતની કામગીરીની અમલવારી માટે સતત ખડેપગે છે. જનજાગૃતિ કેળવવા રાજ્યની પોલીસે કોરોનાકાળમાં સવિશેષ કામગીરી કરી છે. પોલીસે માસ્ક ન પહેરનાર સામે ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

રેમડેસિવિર ઇન્જેકશનના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, આ ગુનાઓમાં સંડોવાયેલા ૧૦૩ આરોપીઓ પૈકી ૯૨ આરોપીઓની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. પોલીસે રૂ. ૧.૮૨ કરોડની કિંમતના કુલ ૫,૮૩૩ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરી કડક કામગીરી હાથ ધરી છે. નાગરિકોના જીવ સાથે રમત કરી નકલી ઈન્જેકશોના ઉત્પાદન કરનારા તથા સંગ્રહખોરી કરનારા આવા તત્વો સામે મનુષ્ય વધ સહિતના કડકમાં કડક ગુનાઓ દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આવા તત્વો સામે પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા છે.   

 કોરોના સંક્રમિત થયેલા વિસ્તાર એટલે કે કન્ટેનમેન્ટ ઝોનમાં નાગરિકોની અવરજવર પર સખત નિયંત્રણ માટે પોલીસ ઉપરાંત SRP, હોમગાર્ડ અને GRD જવાનોને ડિપ્લોય કરવામાં આવી રહ્યાં છે એટલું જ નહીં આ વિસ્તારમાં DYSP, SP અને DCP કક્ષાના અધિકારીઓને સઘન ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના RTPCR ટેસ્ટ ફરજીયાત ચેક કરવા માટે ૫૦ ઈન્ટર સ્ટેટ ચેકપોસ્ટ અમે ઉભી કરી છે. તે ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ આ પ્રકારની ચેકપોસ્ટ થકી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના RTPCR ટેસ્ટ ચેક કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત દર્દીઓને અપાતી ઓક્સીજનની સુવિધા માટે પણ આકસ્મિક સંજોગોમાં ગુજરાત પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને ટૂંકા સમયમાં હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે ઉમદા કામગીરી કરી છે. એટલું જ નહીં કોરોનાકાળમાં અફવા ફેલાવનારા વ્યક્તિઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. 

મંત્રી  જાડેજાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧૨,૫૬૩ પોલીસ અધિકારી-કર્મચારી અને એસ.આર.પી. જવાનો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી હાલ ૩,૧૪૪ એક્ટિવ કેસ છે. જેમાં ૮૮ હોસ્પિટલાઈઝ છે. એ માટે જ વેક્સિનેશન પર વધુ ભાર મૂકી પોલીસના ૧,૬૫,૭૧૧ જવાનોને પ્રથમ ડોઝ અને ૧,૪૭,૯૦૪ જવાનોને બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે. રાજ્યના ૮૬ ટકાથી વધુ પોલીસકર્મીઓએ રસી લીધી છે. તે સાથે જ ભારતભરમાં ગુજરાત પોલીસ રસીકરણના મામલે પ્રથમ ક્રમે છે. 

રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન જે બાળકોના માતાપિતા કોરોનાના સંક્રમણને કારણે અવસાન પામ્યા હોય તેમજ ત્યજી દેવામાં આવ્યા હોય તેવા બાળકોની સંભાળ દેખરેખ તેમજ તેમની સુરક્ષા કાયદાકીય જોગવાઈ હેઠળ થઈ શકે તે હેતુસર વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નવતર અભિગમ દાખવીને વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ-100, સી ટીમ વડોદરા શહેર પોલીસ હેલ્પલાઈન નં. 7434888100, ચિલ્ડ્રન હેલ્પલાઈન નં. 1098 કાર્યરત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં ૨૫૦ આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ ર૪ કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. 

#Home Minister Pradipsinh Jadeja #Corona #Gandhinagar #Home Minister #gujarat fight corona
Here are a few more articles:
Read the Next Article