/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/29124038/dvvrt.jpg)
ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર એટલી ઘાતક હતી કે, લોકોએ ઓક્સિજન માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ધક્કા ખાવા પડતા હતા. તેમ છતાં પણ ઓક્સિજન મળતો ન હતો અને અંતે ઘણા કોરોના દર્દીનું મૃત્યુ થતું હતું. સાથે જ સિવિલ હોસ્પિટલમાં પણ લાંબી લાંબી કતારો લાગી હતી, ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કોરોના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે.
જેમાં પ્રથમ તબક્કામાં કીટ આપીને તેમનું આત્મબળ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. રાજભવન ખાતે કોરોના વાઈરસને લઈને એક લાખ કીટનું વિતરણ પણ અગાઉ કરવામાં આવ્યું હતું, જ્યારે આગળ વધુ કીટ આગામી દિવસોમાં આપવામાં આવશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓના ઉત્સાહ વધારવા માટે આ કિટ આપી હોવાનું નિવેદન પણ રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ આપ્યું હતું.
સમગ્ર મહાયજ્ઞના બીજા તબક્કામાં ઓક્સિજનના અભાવથી કોઈ દર્દીનું મૃત્યુને લઈને રા ભવન દ્વારા 100 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં 28મેના રોજ અમદાવાદ સિવિલમાં 20 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા હતા, જ્યારે આજે વધુ 50 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને 4 વેન્ટિલેટર આપવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત રાજભવન દ્વારા આ મહાયજ્ઞનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
રાજભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલના સાધનોની ફાળવણી કરવામાં આવી હતી. માત્ર અમદાવાદ નહિ પણ રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં પણ મશીનો ફાળવવામાં આવી રહયા છે. જેમાં વડનગર, ગાંધીનગર, પાટણ અને હિંમતનગર મેડિકલ કોલેજોને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. સાથે જ ભિલોડા ખાતે 10 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપરાંત અમરેલી, સાવરકુંડલા સહિત રાજ્યના અનેક અન્ય જિલ્લાઓમાં પણ 10 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવામાં આવશે.