બાળકોને જન્મ આપ્યા બાદ 3 માતાના મોતથી ચકચાર
એક જ તબીબના હાથે એક જ સપ્તાહમાં કરાય ડિલિવરી
ડિલિવરી બાદ 3 પ્રસૂતાના મોત થતાં પરિજનોમાં રોષ
તબીબ સામે કડક કાર્યવાહી અંગે પોલીસને આપી અરજી
તમામ આરોપો અને ફરિયાદો છે પાયાવિહોણા : તબીબ
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલ ટ્યુલિપ હોસ્પિટલમાં સારવાર લેતી વખતે અને સારવાર લીધા બાદ એક જ સપ્તાહમાં 3 પ્રસૂતાના મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એક જ હોસ્પિટલમાં અને એક જ સપ્તાહમાં 3 પ્રસૂતાના મોત થતાં પરિવારજનોએ તબીબ પર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. ત્રણેય મૃતક મહિલાના પરિવારજનોએ તબીબ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે માણાવદર પોલીસ મથકે અલગ અલગ 4 જેટલી અરજીઓ કરી છે.
મૃતક મહિલાઓના પરિવારજનોનું કહેવું છે કે, તબીબની બેદરકારીને કારણે જ 3 ગર્ભવતી મહિલાના મોત થયાં છે, જેની સામે કડક કાર્યવાહી કરવા માણાવદર પોલીસમાં અરજીઓ આપી છે. આ બાબતે ડોક્ટર ભાટુએ જણાવ્યું હતું કે, આ જેટલા પણ આરોપો કે ફરિયાદો છે એ તમામ પાયાવિહોણી છે. આ ફરિયાદોનું કોઈ મૂળ નથી. હોસ્પિટલ અને હોસ્પિટલના ડોક્ટરોને બદનામ કરવા માટેનું આ કાવતરું રચવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યુ હતું.