Connect Gujarat
ગુજરાત

દર્દીએ ચોથા માળેથી પડતું મુકી જિંદગી ટૂંકાવી : સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પીટલની ઘટના...

દર્દીએ ચોથા માળેથી પડતું મુકી જિંદગી ટૂંકાવી : સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પીટલની ઘટના...
X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી સિવિલ હોસ્પીટલના ચોથા માળે આવેલા એક વોર્ડમાં દાખલ દર્દીએ કોઈ અગમ્ય કારણોસર વોર્ડના પેસેજમાંથી કુદકો મારીને પડતું મુક્યું હતું. જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા દર્દીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દાવલી ગામના 51 વર્ષીય વિનોદ વણકરને દમની બીમારી માટે 2 દિવસ પહેલા હિંમતનગરની સિવિલ હોસ્પીટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ ચોથે માળ 61 નંબરના વોર્ડમાં શીફ્ટ કરવામાં આવ્યા હતા. વોર્ડ નં. 61માં વિનોદ વણકરના પત્ની પણ સાથે દેખરેખ માટે હતા. આ દરમિયાન સોમવારે સવારે 4 વાગ્યાના અરસામાં વિનોદ વણકરે પત્નીને, હું આવું છું કહી બહાર ગયા અને ચોથે માળથી પડતું મુક્યું હતું. જેને લઈને જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો બનાવ અંગે સિવિલ હોસ્પિટલના RMO દ્વારા પોલીસને જાણ કરાય હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા માટે સિક્યોરીટીની કોઈ વ્યવસ્થા છે કે, કેમ તેને લઈને પણ અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.

Next Story