શ્રમિકો માટે રાજ્ય સરકારની શ્રમિક બસેરા યોજના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસનું ખાતમુહૂર્ત
અમદાવાદ સહિત ૩ મહાનગરોમાં આવાસનું નિર્માણ
શ્રમયોગી લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે બાંધકામ શ્રમિકોને તેમના કામના સ્થળની નજીક રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવતી ‘શ્રમિક બસેરા યોજના’ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે કુલ 17 સ્થાનો પર 15 હજાર શ્રમિકો માટે મૂળભૂત સુવિધા સાથેના હંગામી આવાસોનું અમદાવાદ ખાતેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વેળાએ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના શ્રમયોગી લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ગરીબ કલ્યાણ અને સેવા, સુશાસનને પ્રાથમિકતા આપી છે, તેમજ દેશના વિકાસમાં શ્રમિકોના યોગદાનનો મહિમા કરતાં ‘શ્રમમેવ જયતે’નું સૂત્ર આપ્યું છે. તેમણે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવામાં અમૂલ્ય ફાળો આપનાર બાંધકામ શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આવક ઉપલબ્ધ કરાવીને તેમના જીવનધોરણના પાયા મજબૂત કરવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.