અમરેલી : પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરાવવા લોહી પાણી એક કરતાં ગ્રામીણ લોકો, જુઓ શું કહ્યું..!
અમરેલી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લોકોની પીડાની જાણે કાંઇ પડી ન હોય તેમ મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે
દેશભરમાં પાન કાર્ડ અને આધારકાર્ડને લઈને લોકોમાં ભારે અસમંજસ ફેલાઈ છે, ત્યારે અમરેલી ખાતે જનસેવા કેન્દ્ર હોય કે પોસ્ટ કચેરી દરેક જગ્યાએ લોકો પાન કાર્ડ અને આધારકાર્ડને લિંક કરાવવા માટે લોહી પાણી એક કરી રહ્યા છે. સરકાર દ્વારા પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક કરવાની આખરી સમય મર્યાદા 31મી માર્ચ નક્કી કરાઇ છે. જેને પગલે મોટા પ્રમાણમાં લોકો પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક કરાવવા મથી રહ્યાં છે, ત્યારે અમરેલી શહેરની મુખ્ય પોસ્ટ કચેરી હોય કે, મામલતદાર કચેરીનું જનસેવા કેન્દ્ર બધે જ લોકોની ભીડ ઉમટી રહી છે.
કેમ કે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકની છેલ્લી તારીખ 31 માર્ચ હોય, જે 31 માર્ચ પહેલા આધારકાર્ડને પાનકાર્ડ લિંક માટે રીતસર લોકો આટીએ ચઢી ગયા છે. જેમ બને તેમ જલદી પોતાનું આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક થાય તે માટે સવારથી લઈને સાંજ સુધી વારો આવે તેની વાટ જોઈને લોકો કતારમાં ઊભા રહે છે. આમ તો આ કામગીરી લોકો જાતે જ ઓનલાઇન કરી શકે છે. પરંતુ ગ્રામિણ લોકોમાં પુરતી જાણકારી ન હોવાથી તંત્ર પાસે આવી રહ્યાં છે, ત્યારે અમરેલી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લોકોની પીડાની જાણે કાંઇ પડી ન હોય તેમ મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે, ત્યારે અમરેલીના સ્થાનિકો દ્વારા સરકાર શું કરવા માંગે છે તેવા સવાલો કરવામાં આવ્યા છે.
જોકે, માત્ર એક જ ટેબલ પર આ કામગીરી ચાલી રહી છે, ત્યારે લોકોના ઉહાપોહ બાદ કેટલાક લોકોને ટોકન આપવામાં આવ્યા હતા. મામલતદાર દ્વારા અલગ અલગ કેન્દ્રો ખોલીને ગામડાઓમાં સુવિધાઓ ઉભી કરવાની વાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા કામગીરી તેજ કરવાની વરવી વાસ્ત્વિક્તાઓ વચ્ચે દરેક સેન્ટર પર આવી જ સ્થિતિ જોવા મળે છે. અમરેલીની પોસ્ટ ઓફિસમાં પણ દિવસ દરમિયાન માત્ર 20 લોકોને ટોકન આપવામા આવે છે, અને તેમને આખો દિવસ રાહ જોવી પડે છે. ત્યારબાદ પણ તેમનું કામ થાય તેની કોઇ ગેરંટી નથી. ગામડેથી લોકો માત્ર પાન કાર્ડ અને આધારકાર્ડ લીંક કરાવવા માટે રોજેરોજ ધક્કા ખાય છે. પરંતુ તેમનું કામ દિવસો સુધી પતતુ નથી, ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારે ધ્યાન આપશે તે હવે સમય જ બતાવશે.