વરરાજાની કારને નડ્યો અકસ્માત, તો પુરપાટ ઝડપે આવતી કાર વરઘોડામાં ફરી વળતાં 2ના મોત...

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પૂરપાટ ઝડપે આવતી કાર લગ્નના વરઘોડામાં ઘૂસી જતાં 20થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી હતી,

New Update
વરરાજાની કારને નડ્યો અકસ્માત, તો પુરપાટ ઝડપે આવતી કાર વરઘોડામાં ફરી વળતાં 2ના મોત...

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પૂરપાટ ઝડપે આવતી કાર લગ્નના વરઘોડામાં ઘૂસી જતાં 20થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી હતી, જ્યારે 2 લોકોના મોત નીપજ્યાં હતા. તો બીજી તરફ, સાબરકાંઠાના સલાલ-દલપુર નજીક અકસ્માત નડતાં વરરાજાની કાર પલટી મારી ગઈ હતી. જોકે, અકસ્માતની આ બન્ને ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગત મધ્ય રાત્રીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સેવાલીયા રોડ પર પેટ્રોલ પંપ નજીકથી રાત્રીના સુમારે આશરે 12થી 1 વાગે વરઘોડો બાલાસિનોર શહેરમાં ફરીને પરત ઘર તરફ ફરી રહ્યો હતો. તે દરમ્યાન સેવાલીયા બાજુથી માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે ધસી આવેલ કારની અડફેટે જાનૈયાઓ આવી ગયા હતા. લોકો કારની અડફેટે ફંગોળાઈ જતાં આમતેમ વિખેરાઈ ગયા હતા, ત્યારે તેમની ચિચિયારીઓથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાં 25થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોચી હતી, જ્યારે વરઘોડામાં નાચતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. તો અન્ય એક જાનૈયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં સ્થળ નિરીક્ષણ કરી બાલાસિનોરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. બાલાસિનોર પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ, સાબરકાંઠા જિલ્લામાં પણ વરરાજાની કારને અકસ્માત નડ્યો હતો. અમદાવાદથી ઇડર જતી વરરાજાની કારને સલાલ-દલપુર નજીક અન્ય કારે ટક્કર મારી હતી. જેમાં લગ્ન પ્રસંગની કાર 4 પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર વરરાજા સહિતના કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તમામને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં રહેલા પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.