અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કમઠાડિયા ગામના સ્મશાન ગૃહ ખાતે ભમરાનું ઝુંડ ઉડતા ડંખથી ઇજાગ્રસ્ત 35 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કમઠાડિયા ગામે એક સ્વજનનું નિધન થયું હતું, ત્યારે પરિવારજનો સહિતના ગ્રામજનોએ મૃતક સ્વજનની અંતિમ યાત્રા કાઢી સ્મશાન ગૃહ ખાતે લઈ ગયા હતા, જ્યાં અંતિમ વિધિ ચાલતી હતી, તે દરમ્યાન અચાનક નજીકમાં રહેલા ભમરાઓનું ઝુંડ ઉડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
જેમાં ભમરાના ઝુંડે ડંખ મારતા 35 જેટલા લોકોને ઝેરની અસર થવા પામી હતી. બનાવના પગલે તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભિલોડાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અંતિમ વિધિ અમુક કલાકો સુધી સ્થગિત રાખવામાં આવી હોવાનું પણ મૃતકના સ્વજનોએ જણાવ્યુ હતું.