અરવલ્લી : ફ્રૂટની લારી પર ગ્રાહક હજ્જારો રૂપિયા ભરેલું પર્સ ભૂલ્યા, લારીધારકે પરત કરી માનવતા મહેકાવી...
હજુ દુનિયામાં નૈતિકતા અને પ્રામાણિક લોકોની કમી નથી
ક્યારેક દરેક વ્યક્તિને આ દુનિયા ખરાબ લોકોથી ભરેલી હોવાનો અહેસાસ થતો હોય છે. દરરોજ આપણને ચોરી અને છેતરપીંડીની ઘટનાઓ બનતી હોવાની માહિતી સમાચાર માધ્યમો થકી મળતી હોય છે, ત્યારે હજુ દુનિયામાં નૈતિકતા અને પ્રામાણિક લોકોની કમી નથી તેવા ઉદાહરણો પણ સામે આવતા હોય છે. અરવલ્લીના મોડાસા શહેરમાં ફ્રુટની લારી ધરાવતા ફિરોઝભાઈએ માનવતાની મહેક પ્રસરાવી છે. મોડાસા શહેરના માર્કેટ યાર્ડના વેપારી સમીર મનાવા રમઝાન માસમાં ફ્રૂટની ખરીદી કરવા માટે દુઘરવાડા ચોકડી નજીક ફ્રૂટની લારી પર પહોંચ્યા હતા. તેઓ ઇફ્તારીની ઉતાવળમાં હજ્જારો રૂપિયા ભરેલ પર્સ ફ્રૂટની લારી પર ભુલીને ઘરે જતા રહ્યા હતા.
જોકે, વેપારીને બે-ત્રણ કલાક પછી તેમનું પર્સ યાદ આવતા ફ્રુટ સહિત અન્ય માલસામાનની ખરીદી કરી હતી, ત્યાં દરેક સ્થળ પર તપાસ કરી હતી. છેલ્લે દુઘરવાડા ચોકડી નજીક ફ્રુટની લારી પર તપાસ કરવા પંહોચાતા ફ્રુટ લારી ધારક ફિરોજ મામુ પાસે પહોચતાં વેપારીએ પર્સ અંગે પૂછપરછ કરતા લારીધારકે પર્સ તેમનું જ છે તે અંગે ચકાસણી કરી પર્સ વેપારીને પરત કરતા વેપારી સમીર મનાવા અને તેમના પરિવારે ફ્રુટની લારી ધારકની પ્રામાણિકતાની સરાહના કરી હતી. રોજેરોજ કમાઈને પેટિયું રળતા ફળની લારીવાળાની ઈમાનદારી અને પ્રામાણિકતા જોઈને લોકોમાં ઈમાનદારી અને પ્રામાણિકતા હજુ પણ જીવિત છે, તેવું મોડાસાના શહેરીજનોએ જણાવ્યું હતું.