અરવલ્લી: ભિલોડાના આ ગામના બાળકો શાળામાં અભ્યાસ અર્થે કેવી રીતે જાય? રસ્તાની હાલત તો જુઓ
અરવલ્લી જીલ્લામાં માર્ગો બન્યા બિસ્માર, ભિલોડાના જાલીયાથી બોલુન્દ્રા ગામને જોડતો માર્ગ બિસ્માર.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા જાલીયાથી મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામે જતો રસ્તો બિસમાર બનતા શાળામાં જતા બાળકો હાલાકી ભોગવી રહયા છે.
એવું નથી કે સીમાઓની સરહદો માત્ર એક દેશથી બીજા દેશ જવા માટે નડતી હોય છે પણ અહીતો તાલુકા તાલુકા વચ્ચે પણ સરહદો નડી રહી છે અને એનો ભોગ અંતરિયાળ સરહદોને જોડાતા ગામોના લોકો બની રહયા છે આવો જ કિસ્સો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા અને મોડાસા તાલુકાની સરહદ ઉપર આવેલા જાલીયા ગામે જોવા મળ્યો છે.
ભિલોડા તાલુકાનું જાલીયા ગામ 70 ઘરોની વસ્તી વાળું ગામ છે.ગામથી બાળકો અભ્યાસ માટે નજીકમાં 5 કિલોમીટરના અંતરે આવેલા મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામે જાય છે.પરંતુ આઠ વર્ષ પૂર્વે આ બંને ગામોને જોડતો બનેલો રસ્તો બિસ્માર બની ચુક્યો છે જેના કારણે સ્થાનિકો સાથે શાળમાં જતા બાળકો હાલાકી ભોગવી રહયા છે.
ગામમાં ચાર જેટલી એસટી બસ આવતી હતી પરંતુ રસ્તો બિસમાર બન્યા બાદથી હાલ માત્ર એકજ બસ આવી રહી છે અને એ પણ સમયસર નહિ આવતા બાળકોને શાળામાં જવા માટે અન્ય ખાનગી વાહનો કે 3 કિલોમીટર ચાલીને જવા મજબુર બનવું પડી રહ્યું છે જેથી બાળકો સમયસર શાળામાં પહોંચી નહિ શકતા અભ્યાસ પણ બગડી રહ્યો છે ત્યારે સત્વરે રસ્તો રીપેરીંગ થાય એવી સ્થાનિકો માંગ કરી રહયા છે.