ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે કાર્યક્રમ યોજાયો
પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ધરતીપુત્રોના ખાતામાં 20મો હપ્તો જમા કરવામાં આવ્યો
ખેડૂતોને મળતા ખેતી ઓજારના પ્રમાણપત્રો અર્પણ કરાયા
મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિસાન નિધિ સન્માન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરી સંબોધન કર્યું હતું. આ સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો પણ જમા કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ. 1,118 કરોડથી વધુની 20માં હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે કિસાન નિધિ સન્માન યોજના હેઠળ આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો.
આ સાથે જ ખેડૂતોને સહાય સાધનોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને સબસીડી મારફતે મળતા ખેતી ઓજારના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, APMCના ચેરમેન મુકેશ પટેલ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.