ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ સિકલસેલ ડે દર વર્ષે તા. 19 જૂનના રોજ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી તા. 19 જૂનના રોજ ‘વિશ્વ સિકલસેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં રાજ્યમાં સિકલસેલ એનેમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે ‘સિકલસેલ એનેમિયા નિયંત્રણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. સિકલસેલ એક આનુવંશિક કે, વારસા ગત રોગ છે, ત્યારે વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર રામકુંડ નજીક આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સિકલસેલ એનેમિયાની ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 વર્ષથી લઇને 40 વર્ષ સુધીના લોકોની તપાસ કરવામાં આવી હતી.