ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી,જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને મંજુર કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે મળી હતી. આ બેઠક સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી.
જેમાં તા. 29-02-2024’ના રોજ મળેલ ખાસ કારોબારી સમિતિની કાર્યવાહી નોંધ વાંચનમાં લઈ બહાલી આપવા સાથે જમીન મહેસુલ કાયદાની કલમ-73 એએ હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત નર્મદા પાર્ક, ઝાડેશ્વર-ભરૂચ ખાતે “વાંચન વિહાર પ્રોજેક્ટ” અંતર્ગત ઓપન લાયબ્રેરી શરૂ કરવા તેમજ વિવિધ એક્ટિવિટી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.
તેમજ નર્મદા નદી પરના જિલ્લા પંચાયત હસ્તકના કુલ 14 હોડીઘાટ પૈકીના બાકી રહેતા 6 હોડીઘાટની હરાજી કરવા બાબતે ઠરાવ કરાયો હતો. કારોબારી બેઠકમાં ચેરમેન ઉપરાંત પૂર્વ પ્રમુખ અલ્પાબેન તેમજ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.