-
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાનો મળ્યો સહયોગ
-
ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે કરાયું હતું આયોજન
-
શ્રી પરશુરામ સંગઠન દ્વારા નિદાન-સારવાર કેમ્પ યોજાયો
-
યોગ દર્શન સહિત આયુર્વેદિક - હોમિયોપેથી નિદાન કરાયું
-
250 લોકોનું હેલ્થ ચેકઅપ કરી નિઃશુલ્ક દવાઓનું વિતરણ
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સહિત આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિ વર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ-ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી-ગાંધીનગર અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા-ભરૂચના સહયોગથી ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પના પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગ અને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી હોમીયોપેથી દવાખાના જનરલ હોસ્પીટલના મેડિકલ ઓફિસર ડો. કેતન પટેલ, ડો. સોનાલી પાટીલ, આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંત પ્રજાપતિ, વૈદ મનીષા વાઢિયાએ સેવાઓ આપી હતી, આ કેમ્પમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તારના અંદાજિત 250થી વધુ લોકોનું હેલ્થ ચેકઅપ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી.
આ પ્રંસગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી, બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ સંગઠનના કિરણ જોશી, રાજકુમાર દુબે, ડો. ગંગુબેન હડકર હાઈસ્કૂલ કેમ્પસ ડિરેક્ટર બિપીનચંદ્ર જગદીશ વાળા, આચાર્ય મનહર વાઘેલા, પ્રભુ પટેલ સહીતના શિક્ષકગણ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.