ભરૂચના પશ્વિમ વિસ્તારમાં આવેલી APMCમાં દુકાનોની ઉપર માત્ર 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ધરાશાયી થતાં વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે.
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં દુકાનોની ઉપર માત્ર 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ગતરોજ રાત્રીના અચાનક ધરાશાયી થઈ હતી. જેના કારણે નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન થયું છે, જ્યારે બીજા દિવસે વહેલી સવારે વેપારીઓ માર્કેટમાં આવતા ઘરાશાયી થયેલી દીવાલ જોઈને ચોકી ઉઠ્યા હતા. જેમ જેમ વેપારીઓને ખબર પડતાં જ લોકટોળાં પણ ઉમટી પડ્યા હતા. જો આ બનાવ રાત્રીના સમયના બદલે દિવસમાં બન્યો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ હતી.
ઘટનાની જાણ થતાં જ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણા સહિત વેપારી એસોસિએશનના પ્રમુખ રસીદ ખુશાલ સ્થળ પર દોડી આવ્યા હતા. આ સાથે જ તેઓએ APMC સામે ભ્રષ્ટાચાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ દુકાનોનું બાંધકામ કર્યાને માત્ર 8 મહિના જેટલો જ સમય થયો છે, તેમ છતાંય આ દુકાનોની દીવાલ ધરાશાયી થઈ જતા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠી છે. આ સાથે જ વેપારીઓ ટેક્સ ભરતાં હોવા છતાંય APMCમાં સાફ-સફાઈ નહીં કરાતી હોય, જેથી વેપારીઓમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી છે. તો બીજી તરફ, આ મામલે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.