/connect-gujarat/media/media_files/2025/10/14/11-2025-10-14-21-09-16.jpg)
પંચમહાલ જિલ્લાના ગોધરાના ઉદલપુર નજીક આવેલા પંડ્યાપુરા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં રેલવેની વીજલાઈન એક માઈન્સની બ્લાસ્ટિંગ બાદ ઉછળેલા પથ્થરના કારણે તૂટી હતી. જોકે, માલગાડીની સ્પીડ વધારે હોવાથી એન્જિન પર કડાકા-ભડાકા થયા હતા.
પંચમહાલ જિલ્લાના ગોધરાના ઉદલપુર નજીક પંડ્યાપુરામાં આવેલી ભગીરથ માઇન્સમાં કરાયેલા બ્લાસ્ટિંગને કારણે ઉછળેલા પથ્થરના ટુકડાથી રેલવેનો મુખ્ય OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) વીજ કેબલ ક્ષતિગ્રસ્ત થયો હતો. કેબલની સ્ટે ટ્યુબ અને બ્રેકેટ ટ્યુબ તૂટી જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, અને એક માલગાડી થંભી ગઈ હતી. જોકે, વીજ કેબલ ક્ષતિગ્રસ્ત થવાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો સક્રિય થયા હતા. રેલવે લાઇન પરથી પસાર થતી માલગાડીને રોકવા માટે ગ્રામજનોએ તાત્કાલિક લાલ રંગના કપડા બતાવીને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ગ્રામજનોની સમયસૂચકતા દર્શાવે છે. સદનસીબે, વીજ પુરવઠો ખોરવાતા માલગાડી સમયસર થંભી ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાને લઈને સ્થાનિક ગ્રામજનોએ ભગીરથ માઇન્સની બેદરકારી પર ગંભીર આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માઇન્સ દ્વારા અવારનવાર કોઈપણ પ્રકારની સલામતીના પગલાં લીધા વિના બેફામપણે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, જેના કારણે આવી ઘટનાઓ બને છે, અને લોકોના જીવ જોખમાય છે. બનાવની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ અને ટેકનિશિયનોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ક્ષતિગ્રસ્ત વીજ કેબલને તાત્કાલિક પૂર્વવત કરવાની અને રેલવે વ્યવહાર ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ ઘટનાને કારણે રેલવે વ્યવહાર પર અસર પડી છે. આ બનાવ બાદ રેલવે વ્યવહારને કોઈ અસર થઈ ન હતી, જ્યારે રેલવે ટ્રેનને બીજા ટ્રેક પરથી ચલાવવામાં આવી રહી છે.