-
શાપુર ગામમાંથી પસાર થતો પુલ બન્યો અત્યંત બિસ્માર
-
ગત ચોમાસા દરમ્યાન પુલ ધોવાઈ જતાં લોકોને હાલાકી
-
15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખની ફાળવણી
-
નવો પુલ બનાવવા માટેની કામગીરી હાલ લાગી છે બ્રેક
-
વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત આસપાસના ગ્રામજનોમાં રોષ
જુનાગઢ જિલ્લાના શાપુર ગામમાંથી પસાર થતો પુલ ગત ચોમાસામાં ધોવાઈ ગયો હતો. જોકે, 15માં નાણા પંચની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખના ખર્ચે નવો પુલ બનાવવા માટેની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ ફેલાયો છે.
ગત ચોમાસામાં ભારે વરસાદ પડવાને કારણે જુનાગઢ જિલ્લાના શાપુર ગામમાંથી વાડી વિસ્તારમાં જતાં પુલનું ધોવાણ થઈ ગયું હતું, અને આ પુલને બનાવવા માટે તાત્કાલિક 15માં નાણા પંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી આ કામ ટલ્લે ચડ્યું છે, અને આ પુલ પરથી પસાર થતાં ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પુલ માટે રૂ. 35 લાખની ગ્રાન્ટ આપવા છતાં એજન્સીની બેદરકારીના કારણે આજદિન સુધી આ કામ પૂર્ણ થયું નથી, જ્યારે ખેડૂતોને વાડીએ જોવા માટે અવરજવર કરવા માટે એક જ રસ્તો છે. પરંતુ આ પુલ તૂટી જતા હાલ ખેડૂતોને ડાયવર્ઝનમાંથી પસાર થઈને જવું પડે છે.
તો બીજી તરફ, આ મુદ્દો જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો, જ્યાં બજેટ ફાળવાયું છે ત્યાં કામ સમયસર થવું જોઈએ, કાર્યક્ષમ અને જવાબદાર એજન્સીઓને તક આપવામાં આવવી જોઈએ. આમ ન થાય તો લોકોને લાભ નહીં મળે, અને સરકારની યોજના નિષ્ફળ જતી હોય છે. સ્થાનિકોએ અનેક વખત ફરિયાદો કરી છે, તેમ છતાં કામગીરીમાં નિયમિતતા જોવા મળતી નથી. જેથી આગામી ચોમાસુ નજીક છે, ત્યારે ફરી પૂર જેવી સ્થિતિ સર્જાશે.
તેવામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જશે, અને એક ગામથી બીજા ગામ સુધી જવાનો રસ્તો પણ બંધ થઈ જશે. જેના કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને રોજિંદા કામ માટે અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે, ત્યારે આ કામ વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.