/connect-gujarat/media/media_files/2024/11/02/w0JB3gNsmEj3rkp6US4q.jpg)
ભરૂચ જિલ્લાના વાગરાથી ઓરા ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ આમન શહીદ બાવાની દરગાહ નજીક બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયાં હોવાના એહવાલ સાંપડી રહ્યા છે. પૂર ઝડપે મોટરસાઇકલ હંકારતા બંને નબીરાઓ સામસામે ભટકાતા બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. જેમાની એક મોટરસાઇકલ રોડની સાઈડમાં ઝાડીઓમાં ફંગોળાઈ હતી. અકસ્માતમાં બંને ચાલકોને ઇજાઓ પહોંચી હતી.
બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા. અકસ્માતનો કોલ મળતા જ 108 ના કર્મીઓ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઇ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી. સર્જાયેલા અકસ્માતમાં દોરા તેમજ સાયખા ગામના બે ઈસમો ઘવાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાને કારણે તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો થકી જાણવા મળ્યું હતું. વાગરા પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગતરોજ વાગરાની હનુમાન ચોકડી ખાતે પણ બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.