/connect-gujarat/media/post_banners/8f8669778e65ea4961ff28730f6e7e4a62cce1c99704354947d0bf5bf86153d1.jpg)
આવતીકાલથી દશામા માતાના વ્રતનો થશે પ્રારંભ
વ્રત અધિક શ્રાવણ માસની અમાસ તીથીથી શરૂ
માઈભક્તો દ્વારા વ્રતની તૈયારીઓને અંતિમ ઓપ
આવતીકાલથી દશામા માતાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા માઈભક્તો દ્વારા દશામા માઁ વ્રતની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.
આ વર્ષે અધિક શ્રાવણ માસને લઈ અષાઢ વદ અમાસથી શરૂ થતાં દશામાના વ્રતની ઉજવણી અષાઢ અમાસને બદલે અધિક શ્રાવણ માસની અમાસ તીથીથી શરૂ કરવામાં આવનાર છે, ત્યારે હાલની મોંઘવારી તેમજ મંદીના માહોલમાં જયારે મધ્યમવર્ગના લોકોની અવદશા બેઠી છે, ત્યારે આર્થિક રીતે તેમજ સામાજીક રીતે દશા સુધરે તે માટે લોકો ભક્તિભાવ પૂર્વક દશામાનું વ્રત કરતા હોય છે. 10 દિવસ સુધી ચાલતા આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે, ત્યારે 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે. વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહક્લેશ થવો ન જોઈએ અને શાંતિનું વાતાવરણ રહેવુ જોઈએ. આવા વાતાવરણમાં થતા દશામાં માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે, તેવી માન્યતા પ્રચલિત છે. 10 દિવસ માતાજીના શણગારમાં બદલાવ કરવો પણ એટલો જ જરૂરી છે. વિવિધ શજ્ઞગારના સાધનો જેમ કે ચાંદલા, ચૂંદડી અને અન્ય આભૂષણો વગેરેની માંગ ઉભી થતાં આ ચીજવસ્તુઓનો વેપાર કરતા વેપારીઓના ધંધામાં તેજી આવી ગઈ છે. દશામા માતાની સ્થાપના અમાષની સમી સાંજ બાદ કરવામાં આવે છે, ત્યારે ખુબ ધામધૂમથી ભક્તજનો દશામાની પધરામણી પોતાના નિવાસસ્થાને કરી સગા-સંબંધી તેમજ પાડોશીઓને ભેગા કરી આધાત્મિક વાતાવરણમાં દશામા માતાની કથાનું શ્રવણ કરી આરતી ઉતારી પ્રસાદની વહેંચણી કરતા હોય છે, ત્યારે ભરૂચ જિલ્લામાં વસતા માઈભક્તોમાં વધારો જોવા મળતા આ વર્ષે દશામા માતાની પ્રતિમાની માંગમાં પણ વધારો થયો છે. વેપારી સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિમાની કિંમતમાં પણ વધારો થયો છે. હાલ ઓછામાં ઓછી 600 રૂપિયાથી દશામા માતાની પ્રતિમા પ્રાપ્ત થઈ શકે છે. સાથે મોટા કદની પ્રતિમાઓનુ પણ ભરૂચ જિલ્લામાં ધુમ વેચાણ થઇ રહ્યું છે.