આજે જેઠ માસની પૂર્ણિમા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ભગવાન કાળિયા ઠાકરની જાખી કરવા ઉમટી પડ્યું હતું. દરેક સંપ્રદાયમાં જેઠ માસની પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે, ત્યારે આજે જેઠ માસની પૂર્ણિમા નિમિત્તે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું.
આજના દિવસે ભગવાન શામળિયાને કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને સોનાના આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ શંખ, ચક્ર, ગદા અને ગળામાં સોનાની વનમાળાથી ભગવાન શામળિયા ઝળહળી રહ્યા છે, ત્યારે ભક્તો પણ હરખઘેલા બની ભગવાન શામળિયાની શણગાર આરતીનો લાભ લઇ ધન્ય બન્યા છે. સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ હજારો ભક્તો શામળિયાના દર્શને પધાર્યા છે.