/connect-gujarat/media/media_files/2025/12/31/scss-2025-12-31-20-56-29.jpg)
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન.રાવના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વિકાસ સહાયનો એક્સટેન્શન સાથેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયો છે. આજે વર્ષના છેલ્લા દિવસે ગુજરાતને ડો.કે.એલ.એન. રાવના રુપમાં નવા ડીજીપી મળ્યા છે.
ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. નોંધનિય છે કે, રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર છે. કે.એલ.એન.રાવના નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે.
ડો. કે.એલ.એન. રાવનો 26 ઓક્ટોબર, 1967 ના રોજ થયો હતો. તેઓના અભ્યાસની વાત કરીએ તો M.Sc., Ph.D કરેલ છે. તેઓ ટીની (તેલંગાણા) ના વતની છે અને 1992 બેચના આઈપીએસ ઓફીસર છે. તેમનું હાલનું પોસ્ટિંગ CID ક્રાઈમના વડા તરીકે છે. તેઓ ઓક્ટોબર-2027 માં નિવૃત થવાના છે.
આ ઉપરાંત ડો. કે.એલ.એન. રાવની અન્ય પોસ્ટિંગ વિશે વાત કરીએ તો, તેઓ જિલ્લા પોલીસવડા તરીકે ખેડા, હિંમતનગર, મહેસાણા જેવા જિલ્લાઓમાં સેવા આપી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ રાજકોટ રેન્જ DIG અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ સેવા આપી ચૂક્યા છે. રાવ ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે પણ રહી ચૂક્યા છે.
નોંધનિય છે કે, ડો. કે.એલ.એન. રાવ કડક અધિકારી તરીકે કામ કરવા માટે પ્રખ્યાત છે. એટલું જ નહીં ખુબ સારી રીતે રાજ્યની તમામ જેલોનું મેનેજમેન્ટ પણ કરી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન જેલમાં પણ કેદી ભાઇઓ માટે અનેક સારા કાર્યો કર્યા હતા. તેઓ પોતાની કારકિર્દી દરમિયાન કોઈ મોટા વિવાદમાં પણ આવ્યા નથી. આમ તેઓ સ્વચ્છ છબી ધરાવે છે.
અમદાવાદ કમિશનર જી.એસ.મલિકનું નામ પણ હતું ચર્ચામાં
ડો. કે.એલ.એન. રાવની સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અધિકારી બેડામાં ચર્ચા હતી કે નવા ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકની પસંદગી પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જી.એસ.મલિક 1993ની બેંચના IPS અધિકારી છે અને હાલમાં તેઓ અમદાવાદના પોલીસ કમિશનર સેવા આપી રહ્યા છે. આ પહેલા તેઓ કેટલાંક વર્ષ માટે દિલ્હીમાં ડેપ્યુટેશન પર હતા. જેથી તેમના નામની ચર્ચામાં ખુબ ચાલી હતી. તેમને અમદાવાદના પોલીસ કમિશનર બનાવ્યા ત્યારથી લોકો કહી રહ્યા હતા કે આગામી ડીજીપી તરીકે તેમની પસંદગી થઈ શકે છે.