Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર સોમાનાથ મહાદેવના સાનિધ્યમાં, ફિલ્મ "સમ્રાટ પૃથ્વીરાજ"નું કર્યું પ્રમોશન

બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર સોમનાથની મુલાકાતે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન કરવા પહોચ્યા બોલીવુડ એક્ટ્રેસ માનુષી છિલ્લરની પણ ઉપસ્થિત

X

બોલીવુડ સ્ટાર અક્ષયકુમારે પોતાની આગામી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન માટે વારાણસી જઇને ગંગામાં ડૂબકી લગાવી હતી, ત્યારે હવે અક્ષયકુમાર ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવવા સોમનાથ આવી પહોચ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના દર્શન કરીને અભિનેતા અક્ષયકુમાર ભાવવિભોર થયા હતા. પ્રેસ કોન્ફરન્સમાં પોતાના દર્શનના અનુભવનું વર્ણન કરતા તેઓએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે.

આપ મંદિરની અંદર પ્રવેશ કરો એટલે ઉર્જાનો અનુભવ કરો છો. સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે. આ સાથે જ સમ્રાટ પૃથ્વીરાજ મુવીના ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ભગવાન સોમનાથના દર્શનના અનુભવને અભૂતપૂર્વ ગણાવ્યો હતો. થોડા વર્ષોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને લગતું કન્ટેન્ટ પોતાના દ્વારા નિર્માણ કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. આ ફિલ્મથી પોતાનું ડેબ્યુ કરનારી મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા પૃથ્વીરાજ મુવીને સ્ત્રી સશક્તિકરણનું સાચું ઉદાહરણ ગણાવી છે. અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' તા. 3 જૂનના રોજ હિંદી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે. ફિલ્મનું નામ પહેલા 'પૃથ્વીરાજ' હતું. જોકે, PIL ફાઇલ થયા બાદ મેકર્સે તા. 27 મેના રોજ ફિલ્મનું ટાઇટલ 'સમ્રાટ પૃથ્વીરાજ' કર્યું છે. અક્ષય કુમારે ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણનો રોલ ભજવ્યો છે. માનુષી છિલ્લર ફિલ્મમાં સંયોગિતના રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં સોનુ સૂદ, સાક્ષી તન્વર, આશુતોષ રાણા, સંજય દત્ત અને માનવ વિજ પણ લીડ રોલમાં છે.

Next Story