/connect-gujarat/media/media_files/2025/09/22/content_image_0a7120b7-9ca1-401c-8c9e-3a7c85534313-2025-09-22-21-20-57.jpeg)
નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી યોજના હેઠળ, રાજ્યના 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. આ ઉપરાંત, રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સને પણ સેવામાં સામેલ કરવામાં આવી છે, જેથી હવે રાજ્યમાં કુલ 1549 એમ્બ્યુલન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ છે.
ગુજરાતમાં PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બે મોટી જાહેરાતો કરી છે. આ પહેલથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ વેગ મળશે.
'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના' હેઠળ રાજ્યના 6.42 લાખ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા કવચ મળશે. આ યોજનાથી તેમને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. સરકાર આ યોજના પાછળ વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચ કરશે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 2018 થી 2025 સુધીમાં PMJAY યોજના હેઠળ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. આ યોજના હેઠળ કુલ 51.27 લાખ દાવાઓ માટે ₹13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. હાલમાં, રાજ્યમાં 2,708 હોસ્પિટલો (943 ખાનગી અને 1,765 સરકારી) આ યોજના સાથે જોડાયેલી છે, જ્યાં 2,471 વિવિધ પ્રોસિઝરનો લાભ ઉપલબ્ધ છે.
આરોગ્યમંત્રીએ 108 સેવા વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે:
- રોજની સેવા: દરરોજ સરેરાશ 4,300 થી 4,500 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.
- પ્રતિસાદ: 108 પર આવતા 99% કોલનો પ્રથમ બે રિંગમાં જ જવાબ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં પણ વધુ છે.
- બચાવેલ જીવ: અત્યાર સુધીમાં 1.77 કરોડથી વધુ નાગરિકોને સેવા આપવામાં આવી છે અને 17 લાખથી વધુ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાયેલી જિંદગીઓને બચાવવામાં આવી છે.
- પ્રસૂતિ સહાય: 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 58.70 લાખથી વધુ સગર્ભા માતાઓને મદદ કરવામાં આવી છે, અને 1.52 લાખથી વધુ પ્રસૂતિઓ સ્થળ પર જ કરાવવામાં આવી છે.
- એર અને બોટ એમ્બ્યુલન્સ: ભારતમાં પ્રથમ વખત ગુજરાત સરકારે એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 72 ઓર્ગન અને ગંભીર દર્દીઓનું પરિવહન કરવામાં આવ્યું છે. ઉપરાંત, પોરબંદર અને ઓખા ખાતે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે.