ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસની બદલીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી હવે પહેલા જેવી લાગવગ અને લાલિયાવાડી ચાલશે નહીં.
રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથે યોજાયેલી મીટીંગમાં પોલીસની બદલીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઈ અને પી.આઈને તે ઝોનના જિલ્લામાં કે નજીકના જિલ્લામાં બદલી કરી શકાશે નહિ.