રખડતાં ઢોર મામલે હાઈકોર્ટ આકરા પાણીએ, તા. 9 જાન્યુઆરી સુધીમાં નક્કર કામગીરી કરવા આદેશ...
ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બની ગયો છે. તેવામાં રાજકોટ શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો
ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બની ગયો છે. તેવામાં રાજકોટ શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો હતો. ભોમેશ્વર વિસ્તારમાં પશુની અડફેટે નિવૃત્ત આર્મીમેન ચડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આ રાજકોટની ઘટનાની નોંધ લીધી હતી.
ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે, રખડતા પશુના ત્રાસને ડામવા નક્કર કાર્યવાહી કરાશે. આ દરમિયાન હાઈકોર્ટે તા. 9 જાન્યુઆરી સુધીમાં નક્કર કામગીરી કરીને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ કર્યો હતો. રાજ્યના મહાનગરોમાં રખડતાં ઢોરની અડફેટે ચડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકો દ્વારા તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ રખડતાં ઢોર મુદ્દે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટના શહેરીજનોમાં પશુઓના આતંક મામલે રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોના જણાવ્યા અનુસાર, પશુઓને છુટા મૂકનાર સામે કાર્યવાહી જરૂરી છે. રાજકોટ એક માત્ર શહેરની આ સ્થિતિ નથી. રાજ્યના તમામ શહેરોમાં ઢોરનો આતંક આસમાને છે. આ અગાઉ લોકોની માંગને લઈ હાઇકોર્ટની ટકોર બાદ આખરે અમદાવાદ મનપાનું ઢોર નિયંત્રણ ખાતું કામે લાગ્યું છે. છેલ્લા સાડા આઠ મહિનામાં તંત્ર દ્વારા 13032 ઢોર પકડવામાં આવ્યા છે, તો તંત્ર દ્વારા ઢોર માલિક પાસેથી અત્યાર સુધીમાં રૂ. 63.45 લાખનો દંડ વસુલાયો છે.