જુનાગઢ : મનપા હસ્તકની ઇમારત જર્જરિત થતાં મોટો અકસ્માત સર્જાવાની ભીતિ, સત્વરે પગલા લેવાશે : મનપા

New Update
જુનાગઢ : મનપા હસ્તકની ઇમારત જર્જરિત થતાં મોટો અકસ્માત સર્જાવાની ભીતિ, સત્વરે પગલા લેવાશે : મનપા

મનપા હસ્તકની ઇમારત જર્જરિત હાલતમાં જોવા મળી

કોઈ દુર્ઘટના સર્જાય તો અનેક લોકો બની શકે છે ભોગ

બિસ્માર ઈમારતનું વહેલી તકે સમારકામ કરાશે : મનપા

જુનાગઢ શહેરના આઝાદ ચોકમાં આવેલ મહાનગરપાલિકા હસ્તકની ઇમારત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ જ ઇમારતમાં ભૂતકાળમાં સીટી બસ સ્ટેન્ડ કાર્યરત હતું. ઉપરાંત હાલ અહીં ઈમારતમાં અનેક દુકાનો કાર્યરત છે. જો સત્વરે આ ઈમારતનો સમારકામ કરવામાં ન આવે તો મોટો અકસ્માત સર્જાય શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ, શહેરની મધ્યમાં જ આ ઇમારત આવી હોવાથી અહીંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો અનેક લોકો તેનો ભોગ બની શકે છે.

મહત્વનું છે કે, તાજેતરમાં જુનાગઢ નજીક ધંધુસર ગામનો પુલનો એક ભાગ ધોવાઈ જવાની અને વંથલીની કન્યા શાળાની છતના નળિયા ધરાશાઈ થવાની ઘટના ચર્ચાનો વિષય બની હતી. આ ઉપરાંત આવા અનેક કિસ્સાઓ તાજેતરમાં જુનાગઢ જિલ્લામાં બનવા પામ્યા છે, ત્યારે આ ઈમારતનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમના ધ્યાને આ બાબત આવી છે, અને તેનો હલ લાવવા તેઓ શક્ય બને તમામ પ્રયત્નો કરશે.