આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આજથી 'મેરી માટી-મેરા દેશ' અભિયાનની શરૂઆત
આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આજથી 'મેરી માટી-મેરા દેશ' અભિયાનની શરૂઆત કરાશે. 30મી ઓગસ્ટ સુધી તમામ પંચાયતો અને બ્લોક સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમનું સમાપ દિલ્હીના કર્તવ્ય પથ પર કરાશે. દેશભરની પંચાયતોની માટી સાથે દિલ્હીના કર્તવ્ય પથ પર 'અમૃત વાટિકા' બનાવવામાં આવશે. તે સ્વતંત્રતા, એકતા અને અખંડિતતામાં યોગદાન આપનાર નાયકોને સમર્પિત ' આઝાદી કા અમૃત મહોત્સવ મેમોરિયલ' હશે.
આ ઉપરાંત ગામડાઓમાં તળાવોના જતનના હેતુથી તેના કિનારે દેશ અને કર્તવ્ય માટે બલિદાન આપનાર શહીદોના નામ પર સ્મારકો પણ બનાવવામાં આવશે.સાંસ્કૃતિક મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ' આઝાદી કા અમૃત મહોત્સવ' અભિયાનની શરૂઆત 12 માર્ચ, 2021 ના રોજ થઇ હતી. અને સમગ્ર ભારતમાં આયોજિત બે લાખથી વધુ કાર્યક્રમો સાથે વ્યાપક જનભાગીદારી જોવા મળી હતી. 'મેરી માટી મેરા દેશ' ઝુંબેશના ભાગરૂપે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 9 થી 30 ઓગસ્ટ સુધી ગામ, બ્લોક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમાપન સમારોહ 30 ઓગસ્ટના રોજ દિલ્હીના કર્તવ્ય પથ ખાતે વિવિધ મહાનુભાવોની હાજરીમાં યોજાશે.