પંચમહાલ : ગજાપુરા ગામે તળાવમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 કૌટુંબિક ભાઈઓના મોત, પરિવારમાં આક્રંદ...
ગજાપુરા ગામે તળાવ નજીક ખાડામાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 કૌટુંબિક ભાઈઓના ડૂબી જતા મોત નિપજ્યાં
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામે તળાવ નજીક ખાડામાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 કૌટુંબિક ભાઈઓના ડૂબી જતા મોત નિપજ્યાં છે. બનાવના પગલે સ્થાનિક ધારાસભ્ય સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામ ખાતે આજે વહેલી સવારે અંદાજીત 10થી 12 વર્ષની ઉંમરના 4 બાળકો રમતા રમતા તળાવની પાળે પહોંચ્યા હતા, જ્યાં ચારેય બાળકો તળાવ નજીક આવેલા એક ખાડામાં ન્હાવા પડ્યા હતા. જોકે, થોડી વાર બાદ એકબાદ એક બાળક પાણીમાં ગરકાવ થવા લાગતાં ચારેય બાળકો મોતને ભેટ્યા હતા, ત્યારે સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય બાળકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બનાવના પગલે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, ચારેય બાળકો એક જ પરિવારના કૌટુંબિક ભાઈઓ હોવાનું સામે આવતા દર્દનાક ઘટનાના પગલે પરિવારમાં ભારે આક્રંદ સાથે સર્વત્ર ગજાપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.