પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી ધામમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે માતાજીના મહાગૌરી સ્વરૂપની પૂજાના દર્શન કરવા માઇભક્તોની ભારે ભીડ જામી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી ધામમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે વહેલી સવારે મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. માતાજીના ભક્તોમાં આઠમના દિવસે મહાગૌરી સ્વરૂપના દર્શન કરવાની સાથે કન્યા પૂજનનું પણ મહત્વ હોવાથી આ દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા હવન, પૂજન-અર્ચન, મહાઆરતી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હવનનો લાભ લેવા અને માતાજીના અઠમા સ્વરૂપના દર્શન કરવા ગત મોડી રાત્રીથી જ પાવાગઢ માચી, ચાચર ચોક અને ડુંગર ઉપર ભક્તોનો ધસારો ઉમટ્યો હતો.