પંજાબ ખાતે એક મકાનમાંથી 25 તોલા દાગીના અને રૂ. 2 લાખની થયેલી ચોરી મામલે પંજાબ પોલીસે દાહોદમાં ધામા નાખ્યા હતા. જેમાં દાહોદના 2 શખ્સોના મકાનમાંથી તમામ મુદ્દામાલ પંજાબ પોલીસે રિકવર કર્યો હતો.
દાહોદમાં 2 દિવસ અગાઉ NIAની ટીમ દ્વારા ખાલિસ્તાની આંતકી સાથેના સંબધોને લઈને 2 યુવકોની પુછપરછ કર્યા બાદ એક શખ્સને ઝડપી લેવાયાની માહિતી મળી હતી, જ્યારે 2 દિવસ બાદ પંજાબ પોલીસના ધામા દાહોદમાં જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેમાં પંજાબ ખાતેના એક ઘરમાંથી 4 લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપી 25 તોલા સોના-ચાંદીના દાગીના અને રોકડા 2 લાખ રૂપીયાની ચોરી કરી હતી. જેમાં પંજાબની લુધિયાના પોલીસે 4 લોકોની CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી હતી.
જેમાંથી 2 લોકો મધ્યપ્રદેશના રહેવાસી હતા, અને 2 ઈસમો ગુજરાતના દાહોદના રહેવાસી હતા. જોકે, ચોરીની ઘટનાને અંજામ આપ્યા દાહોદના 2 યુવકો ચોરી કરેલો માલ દાહોદ ખાતે રહેતા તેમના ઘરે મુકી ગયા હતા, અને તે બાદ પોલીસના હાથે તેઓ લુધિયાના ખાતેથી ઝડપાય ગયા હતા, જ્યારે રિમાન્ડ હેઠળ રહેલા દાહોદના 2 લોકોમાંથી એક ઈસમને પંજાબ પોલીસ દાહોદ લાવી દાહોદની બી’ ડિવિઝન પોલીસને સાથે રાખી ચોરીનો મુદ્દામાલ રીકવર કર્યો હતો.
જેમાંથી પંજાબ અને દાહોદ પોલીસને 25 તોલા સોનુ રીકવર કરવામાં સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોરીની ઘટનાને અંજામ આપનાર સન્ની ઉર્ફે સન્ની દેઓલ અને સહેનશા સિંઘ બન્ને દાહોદના રહેવાસી તેમજ રામસિંઘ પંજાબી અને તેનો એક સાગરીત મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે હાલ તો પંજાબ પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.