ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પરની ઘટના
અજાણ્યા શખ્સના હુમલામાં યુવકનું થયું હતું મોત
આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા રિ-કન્સ્ટ્રક્શન
રિ-કન્સ્ટ્રક્શન વેળા આરોપીએ પોલીસની રિવોલ્વર ઝુંટવી
પોલીસ ફાયરિંગમાં આરોપીનું ઘટના સ્થળે મોત થયું
ગત તા. 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી બર્થ-ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતાં, ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સે યુવક-યુવતીને બાનમાં લઈ માલમતા આપી દેવા ધમકાવ્યા હતા. જોકે, આ દરમ્યાન યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી, જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો.
આ ચકચારી લૂંટ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. વધુમાં આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો. જોકે, પોલીસ દ્વારા આરોપી વિપુલ પરમારને રિ-કન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ એવા અંબાપુર કેનાલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપી વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થઈ ગયું છે. આમ જ્યાં તેણે મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનામાં 3 જેટલા પોલીસકર્મીઓને પણ ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.