સાબરકાંઠા : ખેડબ્રહ્મા બાવળકાઠીયા પાસે સ્વાધ્યાય પરિવારને અકસ્માત નડ્યો, જીપ પલ્ટી મારી જતાં 25 લોકોને નાની મોટી ઇજા પહોંચી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાઠીયા નજીક ઢાળ ચઢતા સમયે અચાનક જીપ ડાલા ચાલકની બેદરકારીને લઈને પલટી જતા ડાલામાં બેસેલા 25ને શરીરે ઈજાઓ થતા સારવાર માટે મટોડા અને ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા હતા. આ અંગે ખેરોજ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડબ્રહ્મામાં સ્વાધ્યાય પરિવારનો આયોજિત રક્ષાબંધન પર્વના કાર્યક્રમમાં ભાગ લેવા પીકઅપ ડાલામાં બેસીને બનાસકાંઠાના દાંતા તાલુકાના રાયણીયા ગામના લોકો જઈ રહ્યા હતા. તે દરમિયાન 2.30 વાગેના સમયે જીપ ડાલા ચાલકે બાવળકાઠીયા પાસેના ઢાળ પર રોડ સાઈડના પથ્થર પર ટાયર ચઢી ગયા બાદ ખાડામાં નમી જતા પલટી ખાઈ ગઈ હતી. જેને લઈને અંદર બેઠેલા મહિલા, પુરુષ અને બાળકો સહીત 24થી વધુને માથામાં અને પગે ઈજાઓ થઇ હતી. અકસ્માત અંગે ખેરોજ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને 108 દ્વારા મટોડા સરકારી દવાખાને અને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે ખેરોજ પોલીસ સ્ટેશનના PI જીગ્નેશ રાઠવાએ જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મામાં સ્વાધ્યાય પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં દાંતાના રાયણીયાના લોકો જીપ ડાલામાં આવતા હતા. જેમાં 14 મહિલા, 7 પુરુષ અને ત્રણ બાળકો મળી 25ને શરીરે અને માથાના ભાગે ઈજાઓ થઇ હતી. સારવાર માટે મટોડા અને ખેડબ્રહ્મા ઉપરાંત ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.-