ભારે વરસાદના કારણે દ્વારકા અને જામનગરમાં જળ બંબાકાર
દ્વારકા - જામનગરમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા
દેવભૂમિ દ્વારકા અને જામનગરનું હવાઈ નિરીક્ષણ કરતા CM
વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું ભુપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ
હવાઈ નિરીક્ષણ કરી CMએ તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા ભારે તારાજી સર્જાય છે, ત્યારે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વરસેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાય છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર સાથે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતુ. તેમના આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પણ જોડાયા હતા. સાથેજ મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા, કલ્યાણપુર સહિતના જે વિસ્તારોમાં અસાધારણ વરસાદ પડ્યો છે તે વિસ્તારોમાં લેવાયેલા પગલાઓ અને હજુ આગામી દિવસોમાં માલ મિલકતને વધુ નુકશાન ન થાય તે માટે તંત્રની સુસજ્જતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને રાજ્ય સરકાર અસરગ્રસ્તોની સાથે છે તેવો અહેસાસ પૂરો પાડવા સૂચનો કર્યા હતા. આ વિસ્તારોમાં પાણી ઓસરતાં જ જરૂરી સર્વે કરવા અંગે પણ તેમણે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું.