ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ શાળામાં વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપીની ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે શિબિરના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આપણાં દેશમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનું ખૂબ જ મહત્વ રહ્યું છે. ગતરોજ વિશ્વ સંગીત દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ શાળામાં વેદ ઉપચારણથી મ્યુઝિક થેરાપીની ત્રિદિવસીય શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આજે શિબિરના બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ મ્યુઝિક થેરાપી વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. જેમાં છેલ્લા 25 વર્ષથી મ્યુઝિક થેરાપી આપતા અને મ્યુઝિક થેરાપી થકી દિલ્હીની AIMS હોસ્પીટલમાં કોમા પેશન્ટને મ્યુઝિક થેરાપીથી સાજા કરનાર ડો. સૂચિતા રક્ષિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો. સૂચિતા રક્ષિતએ સિતાર, સારંગી, વાંસળી, તબલા, હાર્મોનિયમ જેવા શાસ્ત્રીય વાજિંત્રો અને મંત્ર ઉચ્ચારણો થકી વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીતનું મહત્વ સમજાવ્યું હતું. આ થેરાપી થકી મનુષ્યમાં સકારાત્મક ઊર્જાનો સંચાર પણ થાય છે.
જય અંબે ઇન્ટરનેશનલ શાળા ખાતે આયોજિત ત્રિદિવસીય મ્યુઝિક થેરાપીના કાર્યક્રમના બીજા દિવસે વિદ્યાર્થીઓને મ્યુઝિક થેરાપી અપાયા બાદ તેમના શરીરમાં લોહીના પ્રવાહમાં તેમજ ઑક્સીજન લેવલ તદુપરાંત તેમની માનસિક પુલકિતતામાં ઘણો જ ફર્ક જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુજિક થેરાપી મેળવ્યા બાદ અનેક વિદ્યાર્થીઓ વધુ પડતાં પુલકિત અને ખુશ નજરે પડ્યા હતા. મ્યુજિક થેરાપી થકી વિદ્યાર્થીઓના શરીરમાં સાતેય ચક્ર કેવી રીતે ઉજાગર કરવામાં આવે તે પણ વિસ્તાર પૂર્વક સંગીતના માધ્યમથી વિધિવત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓએ તણાવમુક્ત અનુભવ કર્યો હોવાનું પણ જણાવ્યુ હતું.
જોકે, મ્યુઝિક થેરાપીનો શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને લાભ મળી રહે તે માટે તા. 21, 22 અને 23 જૂન 2024’ દરમ્યાન જય અંબે ઇન્ટરનેશનલ શાળાના મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રસંગે આચાર્ય આશિષ પાંડે, આચાર્ય પ્રદીપ સરકાર, આચાર્ય શુભમ શંકર, આચાર્ય એઝાર હુસેન, આચાર્ય લવીણ્યા અંબાદે, આચાર્ય ધીરજકુમાર પાંડે, આચાર્ય અજય શુક્લા, આચાર્ય મયુરકુમાર રાવલ, આચાર્ય ડો. જતન મહેતા, આચાર્ય હિમાની અનુજ સહિત કાર્યક્રમના સંયોજક તરીકે નરેશ છાબરાએ ઉપસ્થિત રહી વેદની ઋચાઓનું ઉચ્ચારણ કરી વિદ્યાર્થીઓને આધ્યાત્મિક જ્ઞાન તેમજ એકાગ્રતા કેળવાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.