વલસાડ જિલ્લામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ અંતર્ગત નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ જિલ્લાની તમામ શાળાઓમાં આ મહોત્સવની શરૂઆત થઈ છે. જેમાં રાજ્યના મંત્રીઓ, જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશના કાર્યક્રમો યોજાય રહ્યા છે,
ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ કોપરલી, રાતા અને સલવાવ ગામની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવમાં હાજરી આપી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેઓએ શાળાના વર્ગખંડની પણ મુલાકાત લઈ અને શિક્ષણ સહિત શૈક્ષણિક સ્ટાફ અને ગામની SMC કમિટીના સભ્યો અને સરપંચ સહિતના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શાળામાં ભૌતિક સુવિધાઓ સહિતની જે જરૂરિયાત અને રજૂઆત હોય તે પણ સાંભળી હતી. આ સાથે જ વહેલી તકે શાળાઓમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે ખાતરી આપી હતી.