અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ

વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત

પોલીસના પ્રોજેકટ અસ્મિતાનું લોન્ચિંગ

આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં ડે.સી.એમ.હર્ષ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાથે જ ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી તથા ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગ મંડળના  ઓડિટોરીયમ, અંકલેશ્વર  ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “પ્રોજેક્ટ અસ્મિતા” અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવી છે જેમને નિમણુંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતું.સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં રૂ.482 કરોડ રૂપિયાના 10 વિકાસ કામોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરમાં નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગર, વેર હાઉસ, મલ્ટીલેવલ શેડ, જંબુસરના બલક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબહેન રાજ, ધારાસભ્યો અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી,કલેકટર ડો. નવનાથ ગવ્હાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રોજેકટ અસ્મિતાના અમલ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.પોલીસ પ્રજાની મિત્ર તરીકે કામ કરતી સૌથી પહેલી ફોર્સ હોવાનું તેઓએ જણાવ્યું હતું.જીઆઇડીસીના કામોને વધુ વર્ગવંતા બનાવવા તેઓએ અપીલ કરી હતી અને ખોટી હેરાનગતિ થાય તો સીધી વડી કચેરીએ રજુઆત કરવા ઉદ્યોગકારોને સૂચના આપી હતી.ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ફ્રી ટ્રેડ એગીમેન્ટ વિકાસના દ્વાર ખોલશે એવી તેમણે આશા વ્યક્ત કરી હતી.