![ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ચંદ્રયાન-4 માટે ભારત અને જાપાને સંયુકત રીતે તૈયારી શરૂ કરી…](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/c774071aa74a41347127543e237a10d989a63d055d742437c4ba41e9fa29fba3.webp)
ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ઈસરોએ ચંદ્રયાન-4 મિશન માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે આ વખતે ભારત એકલુ નહીં હોય. જાપાનની સ્પેસ એજન્સી જાપાન એરોસ્પેસ એક્સ્પ્લોરેશન એજન્સી સાથે મળીને આ મિશન લોન્ચ કરવામાં આવશે. એવી આશા છે કે બંને દેશનુ સંયુક્ત મિશન 2026માં લોન્ચ કરાશે. જેને મિશન લુનાર પોલર એક્સ્પોલરેશન તરીકે ઓળખવામાં આવશે. ચંદ્રયાન 3ની સફળતાના આધારે ચંદ્રયાન 4નુ નિર્માણ કરવામાં આવશે. હાલમાં ચંદ્રાયન 3નુ લેન્ડર ચંદ્રની સપાટીની નીચેનુ તાપમાન, ભૂકંપની જાણકારી, ઓક્સિજન વગેરેની મહત્વપૂર્ણ માહિતી એકઠુ કરી રહ્યુ છે. ચંદ્રની માટીમાં રહેલા તત્વોનો ડેટા પણ ઈસરોને આ મિશનના કારણે મળી રહ્યુ છે.
ચંદ્રયાન 4 મિશન હેઠલ ભારત અને જાપાનની સ્પેસ એજન્સી ચંદ્ર પર પાણી છે કે નહીં તેની તપાસ કરશે. ચંદ્ર પર પાણી છે કે નહીં તેની તપાસ જ ચંદ્ર પર ભવિષ્યમાં માનવ વસાહતો સ્થાપી શકાશે કે નહીં તે નકકી કરશે. સંયુક્ત મિશનમાં જાપાનની સ્પેસ એજન્સી રોકેટ અને રોવર બનાવશે અને ભારતનુ ઈસરો લેન્ડરનુ નિર્માણ કરશે. આ મિશન 6 મહિના સુધી ચાલશે. ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ્યાં સૂર્યની રોશની પહોંચે છે તે હિસ્સા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. ચંદ્રયાન-4નુ રોવર દોઢ મીટર લાંબી ડ્રિલ મશિન વડે સજ્જ હશે . જે ચંદ્ર પરના ખડકોની પણ તપાસ કરી શકશે.