Connect Gujarat
દેશ

લગ્ન નોંધણીને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય, પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ જોડવું ફરજીયાત

લગ્ન નોંધણીને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય, પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ જોડવું ફરજીયાત
X

લગ્ન નોંધણીને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ગુજરાતમાં લગ્ન નોંધણી વખતે પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ જોડવું ફરજીયાત કરવામાં આવ્યું છે. થેલેસેમિયાના વધતા કેસ અટકાવવા ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. લગ્ન નોંધણી સમયે દંપતીએ માન્યતા પ્રાપ્ત ડોકટરનું થેલેસેમિયા અંગેનું સર્ટિ જોડવું પડશે. થેલેસેમિયા વાળા બાળકોને જન્મતા અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરશે.

નોંધનીય છે કે, લગ્ન કરતા પુરુષ અને સ્ત્રીમાંથી કોઈ પણ એકને થેલેસેમિયાનો રોગ હોય તો તેવા દંપતીને થેલેસેમિયાવાળું બાળક જન્મે તેવી 25 ટકા શક્યતા રહેલી છે. પુરુષ અને સ્ત્રી બંને થેલેસેમિયા માઇનર હોય તો તેવા દંપતીને થેલેસેમિયા મેજર બાળક જન્મે તેવી 50 ટકા શક્યતા રહેલી છે. આવા બાળકનું આયુષ્ય ઓછું હોય છે. આ કારણે જ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે લગ્ન નોંધણી વખતે થેલેસેમિયાનું સર્ટિ જોડવું.

તમને જણાવી દઈએ કે, થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનાવવામાં નિષ્ફળ જાય છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે આપણા લોહીમાં લાલ રક્ત કણમાં હિમોગ્લોબીન નામનું એક પ્રોટીન હોય છે, જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આપણે જે ભોજન લઈએ છીએ તેમાંથી લોહતત્વ મળે છે અને હાડકા વચ્ચે રહેલી અસ્થિમજ્જા આ લોહતત્વને હિમોગ્લોબીનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. તો બીજીતરફ થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિની અસ્થિમજ્જાથી લોહતત્વનું હિમોગ્લોબીનમાં રૂપાંતર થઇ શકતું નથી. જેના કારણે શરીરના અન્ય અવયવોને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન નથી મળતો અને અવયવોની કાર્ય કરવાની ક્ષમતા પર તેની અસર પડે છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિના શરીરના અવયવો નબળા પડતા અંતમાં તેમણે અનેક સમસ્યાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે.

Next Story