પૂર્વ IAS પ્રદીપ શર્માની વધુ એક કેસમાં ધરપકડ, જમીન બિનખેતી કરવાનો આરોપ.....
પૂર્વ IAS પ્રદીપ શર્માની વધુ એક જમીન કૌભાંડનાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર વડોદરાના બિલ્ડરને ફાયદો પહોંચાડવાના કેસમાં ધરપકડ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાનાં આ બિલ્ડર સંજય શાહની પણ અટકાયત કરવામાં આવી છે. આજે સાંજે રીમાન્ડની માંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર આરોપ હતો કે તેમણે ભુજમાં રોડ પાસેની જમીન બિનખેતી કરાવી આપી હતી. પહેલા જમીન ખેતી માટે મંજૂર કરી હતી અને પાછળથી તેને બિનખેતી કરી દીધી હતી. ભુજ શહેરનાં મામલતદારે પ્રદીપ શર્મા વિરુદ્ધ આ ફરિયાદ ભુજ CID ક્રાઇમ બોર્ડર રેન્જ પોલીસ મથકમાં નોંધાવી હતી. વડોદરાનાં બિલ્ડર સંજય શાહને આ જમીન વેંચ્યા હોવાની માહિતી મળી આવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર ભુજની સરકારી ખરાબાની કરોડોની જમીન ગેરકાયદે ખાનગી વ્યક્તિને વેચ્યાનો આરોપ પ્રદીપ શર્મા પર મુકવામાં આવ્યો છે. જમીન ફાળવણીનાં આ કેસમાં ભુજ CID ક્રાઈમે પ્રદીપ શર્માની ધરપકડ અમદાવાદથી અને બિલ્ડર સંજય શાહની ધરપકડ વડોદરાથી કરી હતી. ધરપકડ બાદ આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરાશે. પૂર્વ કલેક્ટરની આ પહેલાં માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.