પૂર્વ વિદેશ મંત્રી કે. નટવર સિંહનું શનિવારે રાતે લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું. તેઓ 93 વર્ષનાં હતા. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો, જ્યાં તેમને છેલ્લાં થોડાં દિવસો પહેલાં દાખલ કરવામાં આવ્યા હતા.
પારિવારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો હોસ્પિટલમાં છે અને તેમના પરિવારના અનેક અન્ય સભ્ય અંતિમ સંસ્કાર માટે આજે દિલ્હી આવી રહ્યા છે.કે. નટવર સિંહે 2004-05 દરમિયાન UPA-I સરકારમાં ભારતના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહ હતા. તેમણે પાકિસ્તાનમાં રાજદૂત તરીકે પણ સેવા આપી હતી અને 1966થી 1971 સુધી તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યાલય સાથે જોડાયેલા હતા.