ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં સતત વરસાદને કારણે મુશ્કેલીઓ વધી છે. આ જ કારણ છે કે ઉત્તરાખંડમાં ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને રવિવારે ચારધામ યાત્રા મોકૂફ રાખવામાં આવી. જયારે જમ્મુ-કાશ્મીરમાં પણ શનિવારે પહેલગામ-બાલતાલથી બાબા અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને એક દિવસ માટે સ્થગિત કરીને યાત્રાળુઓને જ્યાં હોય ત્યાં આરામ કરવા અને હવામાન સાફ ન થાય ત્યાં સુધી રાહ જોવાની અપીલ કરવામાં આવી છે. ગઢવાલના ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે રવિવારે સાંજે બેઠકમાં બીજા દિવસની યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ ઋષિકેશ અને વિકાસનગરના તીર્થયાત્રીઓને ચારધામ યાત્રા માટે ન મોકલવા સૂચના આપવામાં આવી છે.