/connect-gujarat/media/media_files/2025/10/05/untitled-2025-10-05-20-38-40.jpg)
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે (4 ઓક્ટોબર, 2025) ભારે વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન થયું હતું, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે.
દાર્જિલિંગમાં ભૂસ્ખલનથી ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને મુખ્ય રસ્તાઓને નુકસાન થયું છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે ઘણા દૂરના ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે ઘણા વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઉત્તર બંગાળ વિકાસ મંત્રી ઉદયન ગુહાએ પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સ્થાનિક અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. એએફપીના અહેવાલ મુજબ, 2૦ લોકોના મોત થયા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો બચાવ કામગીરી ચલાવી રહી છે.
દાર્જિલિંગમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક મિરિક તળાવ વિસ્તારમાં રાહત અને બચાવ સેવાઓ પૂરી પાડવા માટે NDRF ને તૈનાત કરવામાં આવ્યું છે.





































