હિમવર્ષા વચ્ચે કેદારનાથ ધામનું તાપમાન માઈનસ 12 ડિગ્રીથી નીચે પહોંચ્યું
કેદારનાથ ધામમાં સતત કડકડતી ઠંડી પડી રહી છે. હિમવર્ષા વચ્ચે કેદારનાથ ધામનું તાપમાન માઈનસ 12 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. આવા હવામાનમાં પુનર્નિર્માણ કાર્ય ચાલુ રાખવું મુશ્કેલ બની ગયું છે. પુનર્નિર્માણ કાર્યમાં લાગેલા કામદારો ગૌરીકુંડ પહોંચવા લાગ્યા છે. તમામ મજૂરો 28મી ડિસેમ્બર સુધીમાં ગૌરીકુંડ પહોંચી જશે. કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા અને કડકડતી ઠંડીને કારણે પુનઃનિર્માણનું કામ અટકી ગયું છે.
ઠંડીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. પીવાનું પાણી પણ જામી રહ્યું છે. બપોરના સમયે તડકો નીકળતાં થોડી રાહતની લાગણી જોવા મળી રહી છે. તાપમાન સામાન્ય કરતા બેથી ચાર ડિગ્રી વધી રહ્યું છે. મોટાભાગે તાપમાન શૂન્યથી નીચે ગગડી રહ્યું હોવાનું નોંધાઈ રહ્યું છે. કેદારનાથ ધામમાં કામ કરતા 70 થી 80 મજૂરો PWD વિભાગના છે. તેઓ ઠંડીના કારણે ધીમે ધીમે પરત ફરી રહ્યા છે.