જંબુસર તાલુકાના ડાભા ગામના વાડી વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે દીપડાએ પાંચ બકરાનો શિકાર કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. પશુપાલક તૌસીફ ઇકબાલના પાંચ બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો. ઘટનાસ્થળેથી દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાથી દીપડાની હાજરીની પુષ્ટિ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ઘટનાની જાણ થતાં ગામના લોકો અને ખેડૂતો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પશુપાલકોમાં પોતાના પશુધનની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડવા, વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવા અને રાત્રિના સમયે લોકોને સાવચેત રહેવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.
