પંચમહાલ જીલ્લામાં કોરોના મહામારીની સંભવત ત્રીજી લહેરને પહોચી વળવા તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે તાજપુરા ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર અતિ ભયાનક રહેતા અનેક લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા હતા. તો સાથે જ હોસ્પિટલોમાં બેડ ન મળવા સહિત ઓક્સિજનની કમીના કારણે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે, કોરોનાની ત્રીજી લહેર વધુ વિકરાળ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
જેમાં પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ તરફથી તાજપુરા ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરા, ડીએસપી લીના પાટીલ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટની અધ્યક્ષતામાં આ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા વધુમાં વધુ ગેસનું ઉત્પાદન કરવામાં આવશે. જેથી કહી શકાય કે, આગામી સમયમાં સમગ્ર પંચમહાલ જિલ્લાની જનતા માટે આ ઓક્સિજન પ્લાન્ટ આશીર્વાદરૂપ સાબિત થશે.