રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના Reliance Group માં નેતૃત્વ બદલવાના પ્રથમવાર સંકેત આપ્યા હતા. તેમણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેઓ સિનિયર આસીસ્ટન્ટસ સાથે મળીને યુવા પેઢીને સુકાન સોંપવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માગે છે. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ હવે એક મોટું નેતૃત્વ બદલવા માટેની પ્રક્રિયાના તબક્કામાં છે. દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ તેઓની સૌથી મૂલ્યવાન કંપનીના ઉત્તરાધિકારી અંગે આ પ્રથમ વખત જ અણસાર આપ્યા છે. તેઓના સંતાનો જ દેખીતી રીતે તેઓના ઉત્તરાધિકારી બનશે. સંતાનોમાં તેમને બે દીકરા આકાશ અને અનંત તથા એક દીકરી ઈશા છે પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી મુકેશ અંબાણીએ તેમના રિલાયન્સ ગ્રુપની જવાબદારી સંભાળી હતી.
મુકેશભાઇએ આ જવાબદારી એટલી સારી રીતે નિભાવી હતી કે તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે. અને હવે 64 વર્ષની ઉંમરના મુકેશ અંબાણીએ તેમના પિતાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉત્તરાધિકાર સોંપવાની પ્રક્રિયા શરૂ કરવાની જાણકારી આપી હતી. મુકેશ અંબાણીએ કહ્યું હતું, “મોટાં સપનાં અને અશક્ય લાગતા ટાર્ગેટ હાંસલ કરવા માટે યોગ્ય લોકોને સાથે રાખવા અને યોગ્ય નેતૃત્વ હોવું પણ જરૂરી છે. રિલાયન્સ હવે એક મહત્ત્વના નેતૃત્વ પરિવર્તનને અંજામ આપવાની તૈયારીમાં છે. આ પરિવર્તન મારી પેઢીના સિનિયર્સથી નવા લોકોની આગામી પેઢીનું હશે. તેમણે કહ્યું હતું કે મારાથી લઈને તમામ સિનિયર્સે હવે રિલાયન્સમાં અત્યંત કાબેલ, પ્રતિબદ્ધ તથા પ્રતિભાશાળી યુવા નેતૃત્વને આગળ કરવું અને વિકસિત કરવું જોઈએ. આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ, તેમને સક્ષમ બનાવવા જોઈએ અને પ્રોત્સાહિત કરવા જોઈએ તેમજ જ્યારે તેઓ આપણાથી વધુ ઉત્તમ પ્રદર્શન કરતા જોવા મળે ત્યારે આપણે આરામથી બેસીને તેમના માટે તાળીઓ પણ વગાડવી જોઈએ.”
