પ્રાંતિજમાં ભારે વરસાદે ખેતરોમાં વેર્યો વિનાશ  

ખેતરમાં વરસાદી પાણી ભારત બેટમાં ફેરવાયા 

મગફળીનો ઉભો પાક નષ્ટ થતાં ખેડૂતો ચિંતાગ્રસ્ત 

ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો 

ખેતરમાંથી વરસાદી પાણીના નિકાલની કરાઈ માંગ   

સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા છે,ત્યારે ખેડૂતોને ખેતીના પાકમાં મોટી નુક્સાનીનો ભય સતાવી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તમામ તાલુકાઓમાં વરસ્યો હતો અને જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.તો સૌથી વધુ પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાતા ખેડૂતની હાલત કફોડી બની હતી.તલોદ પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા.જ્યારે પ્રાંતિજના સોનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરતાં ઉભો પાક બળી ગયો હતો..
અને આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને કપાસનુ વાવેતર કરવામાં આવ્યુ છે અને એમાં પણ મગફળીના પાકને ભારે નુકસાન જોવા મળ્યુ છે.કારણ કે હવે મગફળી કાઢવાનો સમય હતો અને ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટી નુક્સાની વેઠવાનો વારો આવ્યો હતો.જાણવા મળ્યા મુજબ એક વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર ખર્ચ થાય છે,પરંતુ હવે તો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી ત્યારે તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ કામગીરી કરાય તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.