સુરત શહેર તથા જીલ્લામાં રોગચાળાએ માથું ઉચક્યું
ચોમાસાની સીઝન શરૂ થતાં ઠેર ઠેર રોગચાળો ફાટ્યો
ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટોના કેસમાં નોંધાયો સતત વધારો
મલેરિયાગ્રસ્ત મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત
પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે : CMO
સુરત શહેર તથા જિલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે, તેવામાં અલથાણ વિસ્તારની મલેરિયા પોઝિટિવ મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ચોમાસાની સિઝનમાં પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય છે. જેના કારણે સુરતની નવી સિવિલ અને સરકારી હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતા, ત્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા છે.
તો બીજી તરફ, ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટોના કેસમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. તેવામાં સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય અંગુરી નામની મહિલાને મલેરિયા પોઝિટિવ આવતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મહિલા સતત 2 દિવસથી તાવની બીમારીથી પીડાતી હતી.
જોકે, મહિલાની તબીયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઉમરા પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મોત અંગેનું સાચું કારણ બહાર આવશે તેમ સિવિલ હોસ્પિટલના CMOએ જણાવ્યુ હતું.