મોટી પીપળીમાં કેનાલ બની ખેડૂતો માટે આફત
કેનાલ તુટતા હજારો એકરમાં પાણી ફરી વળ્યા
સિંચાઈ વખતે પાણી નહીં અને વરસાદમાં કેનાલ તૂટી
અર્ધ-નગ્ન થઇ ખેડૂતોએ નોંધાવ્યો અનોખો વિરોધ
વળતર અને કાયમી ઉકેલની માંગ સાથે ખેડૂતોનો હોબાળો
પાટણ જિલ્લાના રાધનપુરના પીપળીમાં ભારે વરસાદ દરમિયાન ઉપરવાસનું પાણી આવતા કેનાલ તૂટી પડી હતી,જેના કારણે કેનલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પાક નુકસાની સાથે મોટો ફટકો પડ્યો છે.
પાટણ જિલ્લાના રાધનપુરના પીપળીમાં ભારે વરસાદ દરમિયાન ઉપરવાસનું પાણીની કેનાલમાં આવતા કેનાલ ધડાકાભેર તૂટી પડી હતી. પરિણામે મોટી પીપળીના ખેડૂતોએ લોહી-પસીનો એક કરીને વાવેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી કેનાલની યોગ્ય સફાઈ અને જાળવણી થઈ નથી, જેનું પરિણામ આજે તેમણે ભોગવવું પડી રહ્યું છે.
નહેર વિભાગની બેદરકારીથી રોષે ભરાયેલા ખેડૂતોએ અર્થ-નગ્ન થઈને નર્મદા નિગમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે શિયાળામાં રવિ સીઝનમાં જ્યારે પાણીની જરૂર હોય ત્યારે કેનાલ સુકી ભટ્ટ હોય છે, અને ચોમાસામાં તંત્રની બેદરકારીથી પાક ધોવાઈ જાય છે.
હવે જોવાનું એ રહેશે કે કરોડોના નુકસાન બાદ જાગેલું તંત્ર ક્યારે ખેડૂતોની હાજરીમાં કાયમી સમારકામ કરાવે છે અને ક્યારે પીડિત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે છે.
