મલેશિયાએ રવિવારે જાહેરાત કરીછે કે હવે ભારતના લોકોને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે.આનો અર્થ એ થયો કે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં. વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે કહ્યું કે ભારતના લોકો પર એ જ નિયમો લાગુ થશે જે રીતે ચીનના નાગરિકોને લાગુ પડે છે.
જણાવી દઈએ કે શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા આપી છે. આ પહેલા મલેશિયાએ સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, યુએઈ, ઈરાન, તુર્કી અને જોર્ડનને આ સુવિધા આપી હતી. નોંધનીય બાબત એ છે કે આ બધા મુસ્લિમ દેશો છે.
વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે ભારતીય અને ચીનના નાગરિકોને સુરક્ષા મંજૂરી પછી જ વિઝા મુક્તિ મળશે.જે લોકોનો ગુનાહિત રેકોર્ડ હોય અથવા હિંસાનો ડર હોય તેમને વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ગૃહમંત્રી સૈફુદ્દીન ઈસ્માઈલ વિઝા ફ્રી એન્ટ્રી અને છૂટ અંગેની વિગતો જાહેર કરશે.મહત્વનું છે કે ચીને પણ મલેશિયા માટે વિઝા ફ્રી પોલિસીની જાહેરાત કરી છે.જો કે, તે 1 ડિસેમ્બર, 2023 થી 30 નવેમ્બર, 2024 સુધી જ લાગુ થશે.